પાટણ જિલ્લાના હારીજ તાલુકાના દુનાવાડા ગામે ગામના એક શખ્સે અગાઉની અદાવતને ધ્યાનમાં રાખીને ગામનાજ યુવક પર ધારીયા જેવા તીક્ષ્ણ હથીયારથી હુમલો કરી ધારીયાના ઘા માથાના ભાગે તથા નાકના ભાગે ઘા મારી જીવલેણ હુમલો કરતાં ઈજાગ્રસ્તને પાટણ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો.
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ તથા નોંધાયેલી પોલીસ ફરિયાદ મુજબ હારિજ તાલુકાના દુનાવાડા ગામે રહેતા મુકેશજી છગનજી ઠાકોર પરિવાર સાથે ખેતરે રહે છે. તેમના ફૂવાનું અવસાન થતાં તેમના ફોઈ અને તેમના દિકરાઓ દુનાવાડા ગામમાં તેમની સાથે રહે છે ત્યારે 23 એપ્રિલે તેઓ સવારના તેમના ખેતરે હતા. તે દરમ્યાન તેમના ગામનો જેઠાજી વરસુંગજી ઠાકોર આવી અને કહેવા લાગેલ કે તારા ફોઈના દિકરા દશરથને ગામના કાન્તીજી સ્વરૂપજી ઠાકોરે માથામાં ધારીયું માર્યુ હોવાથી દશરથજી કમીટી હોલની આગળ રસ્તામાં પડેલ છે. તાત્કાલીક મુકેશજી તેમની સાથે બાઈક પર બનાવની જગ્યા પર જતાં તેમના ફોઈ તેમના દીકરા દશરથનું માથું તેમના ખોળામાં લઈને બેઠેલ હતા, ત્યારે દશરથજી બેભાન અવસ્થામાં લોહી લુહાણ હાલતમાં હતા.
જેથી ખાનગી વાહનમાં તાત્કાલીક પાટણ જનતા ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબે માથાના ભાગે ઘા વાગવાથી ખોપરી ફાટી ગઈ તથા નાકના ભાગે અંદરના હાડકા ટુટી ગયા અને હાથની આંગણી પર ઘા વાગેલ હોવાનું જણાવી માથાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ અંગે હારિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.