કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બુધવારે રાજ્યસભામાં કહ્યું કે, દેશની એક ઈંચ-ઈંચ જમીન પર જેટલા ઘુસણખોરો રહી રહ્યા છે, અમે તેમની ઓળખ કરી આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ દેશમાંથી બહાર હાંકી કાઢીશુ. રાષ્ટ્રીય નાગરીકતા પંજી (એનઆરસી)ના મુદ્દા પર સદનમાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં અમિત શાહે આ વાત કરી છે. તેમણે કહ્યું કે, NRC કરારનો એક હિસ્સો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યસભામાં સપા સાંસદ જાવેદ અલી ખાને સરકારને પૂછ્યું કે, શું NRC જેવું કોઈ અન્ય રજિસ્ટર લાગુ થઈ રહ્યું છે? જો થઈ રહ્યું હોય તો, કયા રાજ્ય તેના દાયરામાં આવશે. તેના જવાબમાં ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, NRC અસમ કરારનો એક ભાગ છે અને બીજેપીના મેનિફેસ્ટોમાં પણ આની વાત હતી. તેમણે કહ્યું કે, દેશની ઈંચ-ઈંચ જમીન પર રહેતા ઘુસણખોરોની ઓળખ કરી આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ તેમને દેશ બહાર હાંકી કઢાશે.
આ પહેલા ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે, સરકાર અસમમાં NRC લાગૂ કરવાને લઈ પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે, સરકાર એ પણ નક્કી કરશે કે એનઆરસીની પ્રક્રિયામાં ભારતનો કોઈ નાગરીક ન છૂટે અને કોઈ ગેરકાયદે પ્રવાસીને આમાં જગ્યા નહીં મળે. રાયે કહ્યું કે, NRC લાગૂ કરવાને લઈ અમારો ઈરાદો બિલકુલ સ્પષ્ટ છે.
રાષ્ટ્રપતિ અને સરકારને 25 લાખથી વધારે એવી અરજીઓ મળી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, કેટલાક ભારતીયને અહીંના નાગરીક નથી માનવામાં આવ્યા. જ્યારે હકીકત એ છે કે, NRCમાં આવા નાગરીકોને ભારતીય માની લેવામાં આવ્યા છે. રાયે કહ્યું કે, સરકારે આ મુદ્દા પર સુપ્રીમ કોર્ટને આગ્રહ કર્યો કે, આ અરજીઓ પર વિચાર કરવા માટે સરકારને થોડો સમય જોઈએ છે. રાયે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર, અસમમાં NRCને 31 જુલાઈ 2019 સુધી પ્રકાશિત કરવામાં આવવું જોઈએ.