પાકિસ્તાની ઉગ્રવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સ્થાપક મૌલાના મસૂદ અઝહરને ‘આંતરરાષ્ટ્રીય આતંકવાદી’ જાહેર કરવાના પ્રયાસમાં વધુ એક વખત ચીને અવરોધ ઊભો કર્યો છે.
નિષ્ણાતોનું માનવું છે કે, મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર નહીં થવા દેવા પાછળ ચીનના ઘણાં હિતો છૂપાયેલા છે. ચીન એ પણ જાણે છે કે, ભારત હાફિઝ સઇદ બાદ જો મસૂદને પણ UNમાં પ્રતિબંધિત આતંકવાદીઓના લિસ્ટમાં સામેલ કરવામાં સફળ રહ્યું તો પાકિસ્તાનને આતંકવાદ પ્રાયોજિત રાષ્ટ્ર જાહેર કરવાની નજીક પહોંચી જશે.
સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં અમેરિકા, બ્રિટન તથા ફ્રાન્સે મસૂદ અઝહરનું નામ આતંકવાદીઓની આંતરરાષ્ટ્રીય બ્લૅકલિસ્ટમાં દાખલ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને ચીને અટકાવ્યો હતો.
સંયુક્ત રાષ્ટ્રસંઘની સિક્યૉરિટી કાઉન્સિલની 1267 કાઉન્ટર- ટૅરરિઝમ કમિટીના 15 સભ્યોમાંથી માત્ર ચીને જ તેનો વિરોધ કર્યો હતો.
ન્યૂઝ એજન્સી એએફપી (એજન્સી ફ્રાન્સ પ્રેસ)ના રિપોર્ટ પ્રમાણે, સુરક્ષા પરિષદમાં પોતાની નોટમાં ચીને કહ્યું કે તેઓ અઝહર ઉપર પ્રતિબંધ મૂકવાની અપીલને સમજવા માગે છે.
![](https://i0.wp.com/ptndigitalmedia.com/wp-content/uploads/2019/03/Masood-Azhar-photo-a_d.jpg?w=640&ssl=1)
આ પહેલાં 2016 અને 2017માં મસૂદ અઝહરને આતંકવાદી જાહેર કરવાના પ્રયાસમાં અવરોધ ઊભો કરાયો છે. ભારત અને ચીન વચ્ચે આ મુદ્દે અનેક રાઉન્ડની બેઠક થઈ છે.
ઉલ્લેખનીય છે કે પુલવામા ખાતે સીઆરપીએફ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ના કાફલા ઉપર હુમલો થયો હતો, જેમાં કમ સે કમ 40 જવાનનાં મૃત્યુ થયાં હતાં. આ હુમલાની જવાબદારી ‘જૈશ-એ-મોહમ્મદ’એ લીધી હતી.
પાકિસ્તાન પંજાબના બહાવલપુરમાં એક હેડમાસ્ટરના ઘરે મસૂદ અઝહરનો જન્મ 10 જુલાઇ 1968ના રોજ થયો હતો. મસૂદ પોતાના 11 ભાઇ-બહેનોમાં ત્રીજા નંબરે હતો, તે અભ્યાસમાં હોંશિયાર હતો. જ્યારે તે આઠમી જમાતમાં ભણતો હતો ત્યારે તેના પરિવારનો એક મિત્ર તેને કરાચીના જામિયા ઉલૂમ ઉલ ઇસ્લામિયામાં ભણાવવા માટે લઇ ગયો. જ્યાં તેણે ઉચ્ચ તાલિમ મેળવવાના બદલે આતંકના પાઠ ભણવાના શરૂ કર્યા.