Corona vaccination campaign
સમગ્ર દેશ અને વિશ્વને બાનમાં લેનાર કોવિડ-૧૯ની બીમારી માટેની અસરકારક દવા ક્યારે આવશે એની રાહ સમગ્ર દેશ આતુરતાથી જોઈ રહ્યો હતો. આ આતુરતાનો અંત લાવતા તા.૧૬ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ રાષ્ટ્રના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીથી સમગ્ર દેશમાં કોરોના રસીકરણ અભિયાન (Corona vaccination campaign) ની શરૂઆત કરાવી હતી. એ સાથે પાટણ જિલ્લામાં પણ પાટણ, ધારપુર અને રાધનપુર એમ ત્રણ સ્થળેથી કોરોના રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પાટણ જિલ્લા માટે ફાળવવામાં આવેલ વેક્સિનના ડોઝમાંથી પ્રથમ દિવસે હેલ્થકેર વર્કર્સને રસી આપીને વિધિવત રીતે જિલ્લામાં રસીકરણની શરૂઆત થઈ હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને પ્રેરક ઉદબોધન કર્યુ ત્યારબાદ જનરલ હોસ્પિટલ પાટણ ખાતે સાંસદ ભરતસિંહ ડાભી, ધારપુર મેડિકલ કોલેજ ખાતે જીઆઈડીસીના ચેરમેન બલવંતસિંહ રાજપુત અને રાધનપુર ખાતેથી ભૂતપૂર્વ ધારસભ્ય અલ્પેશ ઠાકોરે ઉપસ્થિત રહી રસીકરણ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે આજનો દિવસ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. અનેક લોકોનો ભોગ લેનાર કોરોના મહામારી સામે આજે સમગ્ર દેશમાં રસીકરણ અભિયાનની શરૂઆત થઈ છે.

દેશના નાગરિકોને આપવામાં આવનાર આ રસી સંશોધન અને અભ્યાસ બાદ તૈયાર થઈ હોવાથી એના વિશે કોઈ શંકા રાખવાની જરૂર નથી. સાંસદએ એ પણ જણાવ્યું હતું કે રસીકરણ અભિયાન શરૂ થઈ ગયું છે છતાં સૌએ માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન અવશ્ય કરવાનું છે. તેમણે કોરોનાના સમયમાં ખડેપગે કામ કરનાર સ્વાસ્થ્યકર્મીઓની સેવાને બિરદાવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.અલ્પેશ સાલ્વી, જિલ્લા મુખ્ય તબીબી અધિકારી ડો.અરવિંદ પરમાર અને મોહનભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ જુઓ : રામ મંદિર સર્જન માટે 12 જ કલાકમાં 23 કરોડનુ દાન
ધારપુર મેડિકલ કોલેજ ખાતે જીઆઈડીસીના ચેરમેન બલવંતસિંહ રાજપુતની ઉપસ્થિતિમાં રસીકરણનો આરંભ કરાવવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખ, ધારપુર મેડિકલ કોલેજના ડીન ડો.યોગેશાનંદ ગોસાઈ અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન પાટણના પ્રમુખ ડો.નિખિલ ખમાર હાજર રહ્યા હતા. એજ રીતે સીએચસી રાધનપુરમાં ભૂ.પૂ. ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની હાજરીમાં રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં પ્રાંત અધિકારી ડી.બી.ટાંક, નાયબ પોલીસ અધિક્ષક એચ.કે. વાઘેલા, જિલ્લા ટીબી અધિકારી ડો.ભરત ગોસ્વામી હાજર રહ્યા હતા. આ ત્રણેય સ્થળોએ ખાનગી તબીબો અને સ્વાસ્થ્યકર્મીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રથમ દિવસે અગ્રગણ્ય તબીબ ડો. મોહનીશ શાહ અને ડો. નિખિલ ખમાર સહિતના તબીબોએ કોરોના પ્રતિકારક રસી મુકાવી હતી. પાટણ જિલ્લાને વેક્સિનના કુલ ૧૦૨૪૦ ડોઝ ફાળવવામાં આવ્યા છે. જેમાં પ્રથમ તબક્કામાં જિલ્લાના આરોગ્યકર્મીઓ કે જેઓએ કોરોના મહામારીના સમયે પોતાના જીવની પરવા કર્યા વિના સતત રાત-દિવસ સેવા આપી છે એમને રસી મુકવામાં આવશે.