દાહોદ: કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ આગામી રવિવારે યોજાનારી બિનસચિવાલય કલાર્ક અને સચિવાલયના ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ -૩ ની સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોને અપીલ કરતા જણાવ્યું છે કે, ‘ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર ખાતે નિયત સમયે પહોંચી જાય. નિયત સમય બાદ નિયમોનુસાર કોઇ પણ ઉમેદવારને પ્રવેશ આપવામાં આવશે નહી. માટે ઉમેદવારો સમય બાબતે ખાસ તકેદારી રાખે.’
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત ઉક્ત પરીક્ષામાં પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારોને પરીક્ષાના નિયત સમય પહેલા એટલે કે ૧૧ વાગે પરીક્ષાખંડમાં પ્રવેશ આપવામાં આવશે. કોઇ પણ ઉમેદવારને બપોરના ૧૨ વાગ્યા પછી કોઇ પણ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહી. તેવો સપષ્ટ નિયમ છે. માટે ઉમેદવારો આ બાબતનું ખાસ ધ્યાન રાખે અને પરીક્ષા કેન્દ્ર ખાતે નિયત સમયે પહોંચી જાય એ માટે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ ઉમેદવારોને અપીલ કરીને જણાવ્યું છે.
આ સ્પર્ધાત્મક પરીક્ષા દાહોદ જિલ્લાના આંઠ તાલુકાના ૯૦ પરીક્ષા કેન્દ્રો ખાતે આગામી તા. ૧૩ ફેબ્રુઆરી, રવિવારે યોજાશે. આ પરીક્ષામાં ૩૧ હજારથી વધુ પરીક્ષાર્થીઓ ભાગ લેશે.