હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સ્નાતક અને અનુસ્નાતકની પરીક્ષાઓ લેવાઇ રહી છે. જેમાં અગાઉ વિદ્યાર્થીઓ અને એનએસયુઆઈની ઉગ્ર માંગણીને ગ્રાહ્ય રાખીને કુલપતિ દ્વારા એક પરિપત્ર કરીને યુજી અને પીજીની પરીક્ષાઓમાં જે વિદ્યાર્થીઓને એલઆરડી કે પોલીસની ભરતી પરીક્ષા હોય તેમજ જે વિદ્યાર્થીઓ આંદોલનમાં જોડાયા હોય અને પરીક્ષા આપી શકે તેમ ન હોય તેમને આગામી સમયમાં પરીક્ષાની એક તક આપવા બાબતે નિર્ણય કરાયો હતો,
પરંતુ કુલપતિએ પાછળથી ફેરવી તોળતા અને માત્ર એલઆરડીની ભરતીવાળા વિદ્યાર્થીઓ માટે જ અલગથી પરીક્ષા ગોઠવાશે તેવો પરિપત્ર જાહેર કરતા એનએસયુઆઈની આગેવાનીમાં આજે મોટી સંખ્યામાં વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ પાટણ યુનિવર્સિટી ખાતે આવી પહોંચ્યા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને તેમની આગામી છઠ્ઠી જાન્યુઆરીથી લેવાનાર પરિક્ષાઓ અંગે વિદ્યાર્થીઓને અગાઉના પરિપત્ર મુજબ પાછળથી પરીક્ષાની એક તક આપવા બાબતેની માગણી દોહરાવી હતી.
આ અંગે એનએસયુઆઇના બે વિદ્યાર્થી પ્રતિનિધિઓએ ઇસીની ચાલુ બેઠકમાં જઈને આ અંગે તેમની માગણી રજૂ કરી હતી. જોકે બેઠક ચાલું હતી તે દરમિયાન આ અંગે કોઈ નિર્ણય આવી શકયો ન હતો.