૨૧મી સદીના આજના આધુનિક યુગમાં દિકરા અને દિકરી વચ્ચેનો ભેદ ભુલાવા જઈ રહ્યો છે. દિકરીને હવે પરિવારમાં અને સમાજમાં મહત્વનું સ્થાન મળતું થયું છે. દિકરી ભણીગણીને પરિવારને મદદરૂપ બનતી પણ થઈ છે. દિકરાની ખોટ પુરીને ઘરડા મા-બાપનો આધાર પણ દિકરી બની રહી છે, ત્યારે પાટણ શહેરમાં એક માતાનું મૃત્યુ થતાં તેમની બે દિકરીઓએ પુત્ર બનીને માતાની અંતિમ યાત્રામાં કાંધ આપી તેમજ મુખાગ્નિ આપીને શાસ્ત્રોક્ત રીતે દિકરાની ભૂમિકા ભજવી માતાના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
પાટણ શહેરમાં ટાંકવાડા ખાતે રહેતા પાટણ જિલ્લા પંચાયતના પૂર્વ કર્મચારી નટુભાઈ ખત્રીના ધર્મપત્ની નલિનીબેન ( ઉંમર વર્ષ – ૭૩)નું અવસાન થતાં તેમની બે દિકરીઓ ભામિનીબેન અને કવિતાબેન એ માતાની અંતિમયાત્રામાં કાંધ આપી હતી અને પાટણના પદ્મનાથ સ્મશાન ભૂમિ ખાતે જઈ માતાના અગ્નિ સંસ્કારમાં મુખાગ્નિ આપી હતી.