શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા દરેક જ્ઞાતિ, કોમ, સમાજ અને ધર્મ-સંપ્રદાયના લોકોને સાથે
રાખી ભવ્યાતિભવ્ય લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે ત્યારે ઉનાવાના મુસ્લીમ બિરાદરોએ લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં દર્શન કરવા માટે આવતા શ્રધ્ધાળુઓ માટે ૩ર જેટલી હોટલમાં વિના મૂલ્યે રોકાણ કરવાની વ્યવસ્થા ઉભી કરીને સામાજીક સમરસતાની અનોખી સોડ્મ પ્રસરાવી છે.
![](https://i0.wp.com/ptndigitalmedia.com/wp-content/uploads/2019/12/20.12.19-Unava-Miradatar-2-1-1024x683.jpg?resize=640%2C427&ssl=1)
લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ પૂર્વે ઉનાવાના મુસ્લીમ બિરાદરોએ શ્રી ઉમિયા માતાજી સંસ્થાનના અધ્યક્ષ શ્રી મણીભાઈ પટેલ, સંસ્થાના મહામંત્રી શ્રી દિલીપભાઈ નેતાજી અને પ્રોજેક્ટ મેનેજર મહેન્દ્રભાઈ પટેલ (IAS) સાથે મુલાકાત કરી લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં મુસ્લીમ બિરાદરો દ્વારા સેવા આપવાનું અને કોમી એખલાસની ભાવના જાળવી રાખવાનું વચન આપ્યું હતું. જે અંતર્ગત ઉનાવાના મુસ્લીમ બિરાદરો દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.
![](https://i0.wp.com/ptndigitalmedia.com/wp-content/uploads/2019/12/20.12.19-Unava-Miradatar-3.jpg?resize=640%2C427&ssl=1)
લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ માટે ઉનાવા ખાતે ૩૨ જેટલી હોટલમાં તા. ૧૮ થી રર ડિસેમ્બર સુધી વિનામૂલ્યે રહેવાની સગવડ મુસ્લીમ બિરાદરો દ્વારા ઉભી કરવામાં આવી છે. દર્શનાર્થીઓ પાસેથી એક પણ રૂપિયો ફી લીધા વિના હોટલમાં રોકાવાની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે.
મીરાદાતાર ટ્રસ્ટના ચેરમેન સૈયદ વારીસઅલી અહેમદઅલીએ જણાવ્યું હતું કે, ૩ર હોટલમાં ૩૦૦૦ થી વધુ યાત્રીકો રોકાઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ છે, આ ઉપરાંત મીરાંદાતાર દરગાહ સામે શ્રદ્ધાળુઓ માટે સેવા કેમ્પ ઉભો કરાયો છે. જેમાં સતત ચોવીસ કલાક ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. પ૦ થી વધુ મુસ્લીમ બિરાદરો પાંચ દિવસ સુધી સતત સેવામાં હાજર રહેશે.
લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ દ્વારા પાટીદાર સમાજે સર્વ સમાજને સાથે રાખી સામાજીક સમન્વયનું ઉદાહરણ પૂરૂ પાડ્યું છે ત્યારે મુસ્લીમ બિરાદરો દ્વારા હિન્દુ શ્રધ્ધાળુઓની સેવા કરીને કોમી એખલાસનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.