પાટણ શહેરના પ્રાચીન સહસ્ત્રલિંગ તળાવના વિકાસ પ્રોજેકટને અનુલક્ષીને તેના નિરિક્ષણ માટે ૧૭મી તારીખે કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાળ પાટણ ખાતે આવી રહ્યા હોઈ તેમના સ્વાગત સન્માનના આયોજન માટે વીર મેઘમાયા વિશ્વ મેમોરીયલ સંસ્થાના અગ્રણીઓની એક બેઠક માયા ટેકરી સંકુલ ખાતે યોજાઇ હતી.
તા.૧૭ ઓગષ્ટને મંગળવારે સવારે કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી અર્જુનરામ મેઘવાલ પાટણની મુલાકાતે આવી રહ્યા હોઈ તેને અનુલક્ષીને તેમનું પાટણમાં ભવ્ય સ્વાગત, સન્માન કરવા બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
તેઓના ગુજરાતમાં અને પાટણમાં પ્રથમવાર આગમનને લઈને શહેરમાં તેમના સ્વાગતને લગતા બેનરો, કમાનો ગોઠવી લીલીવાડી, મેઈન બજારમાં ભવ્ય સ્વાગત કરવામાં આવનાર હોવાનું બેઠકમાં નક્કી કરાયું હતું.
અમદાવાદ પશ્ચિમના સાંસદ અને વીર મેઘમાયા વિશ્વ મેમોરીયલ સંસ્થાના ચેરમેન ડો.કિરીટ સોલંકીના માર્ગદર્શનમાં સમગ્ર કાર્યક્રમ યોજાનાર હોઈ તેમજ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેમ ૧પ ઓગષ્ટના રાષ્ટ્રીય દિવસ કાર્યક્રમની પાટણમાં ઉજવણી પ્રસંગે સૌ પ્રથમ માયા ટેકરી ખાતે જઈ વીર માયાના મંદિરે માથું ટેકવ્યું હતું એમ કેન્દ્રીય મંત્રી પણ પ્રથમવાર ગુજરાતમાં પાટણ ખાતે આવી અહીં વીર મેઘમાયાની ભૂમિના દર્શન કરનાર હોઈ તેમનું ભવ્ય સ્વાગત કરવા બાબતે સંસ્થાના ઉપપ્રમુખ અને એસસી આર્થીક વિકાસ નિગમના પૂર્વ ચેરમેન રમેશ સોલંકીએ જણાવ્યું હતું.
આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી પાટણ શહેર વિકાસ પરિષદ ,પાટણ શહેર વેપારી મહામંડળ ઉપરાંત પાટણની અનેકવિધ સ્વેચિક સંસ્થાઓના અગ્રણીઓની સાથે બેઠક કરી પાટણના વિકાસ માટે સંવાદ કરશે.એમ જાણવા મળ્યું હતું.