ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતા ૮ ઓગષ્ટના રોજ પાટણ ખાતે શહેરી જન સુખાકારી દિન ગુજરાત સરકારના સહકાર, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના મંત્રી ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની વિવિધ યોજનાઓના લોકાપ્રણ કરવામાં આવ્યા હતા.
શહેરી જનસુખાકારી દિવસે મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં શહેર હોય કે ગામ છેવાડાના માનવીનો વિકાસ થાય એ રીતે સરકારે કામ કયું છે. શહેરોમાં સુવિધાઓ વધે અને ગામોમાં પણ વિકાસ થાય એવો સમુચિત પ્રયાસ સરકારે કર્યો છે. છેલ્લા કેટલાંક સમયથી ગામોમાંથી લોકો શહેરોમાં વસ્યા છે. ત્યારે શહેરોમાં સુવિધાઓનો વ્યાપ વધારવો આવશ્યક બની ગયો છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ શહેરી વિકાસ યોજનાની શરૂઆત કરીને શહેરોની માળખાકીય સુવિધાઓમાં વધારો કર્યો હતો.
એજ રીતે વર્તમાન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ શહેરોમાં લોકોની સુખાકારીમાં વધારો થાય એ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. લોકોના ઘરના ઘરનું સપનું પુરુ થાય એ માટે વર્તમાન સરકારે તેમને નાણાંકીય સહાય આપીને રહેવા માટે મકાનો બનાવી આપ્યા છે. ગુજરાતના વિકાસ માટે કેન્દ્ર સરકારનો સકારાત્મક અભિગમ રહ્યો છે. જેથી, વિકાસ ઝડપી થયો છે. મોટા શહેરો ઉપરાંત નગરપાલિકા વિસ્તારોમાં રસ્તાઓ, સ્ટ્રીટલાઇટ, ભૂગર્ભ ગટર યોજના સહિતની સુવિધાઓ પૂરી પાડવા સરકારે મોટા પ્રમાણમાં નાણાંકીય સહાય કરી છે. શહેરોમાં રહેતા ફેરિયાઓની નોંધણી કરીને તેમને રોજગારી મળી રહે એની ચિંતા પણ સરકારે કરી છે. છેલ્લા પાંચ વર્ષમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં અનેક નવા વિકાસલક્ષી કામો થયા છે.
મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે જિલ્લાની નગરપાલિકાઓને વિવિધ નાણાંકીય સહાય માટે ચેક અપ્રણ કરવામાં આવ્યા હતા. જેમાં પાટણ નગરપાલિકાને 2.50 કરોડ, સિધ્ધપુંર નગરપાલિકાને 1.50 કરોડ, રાધનપુર નગરપાલિકાને ૧.૧ર કરોડ, હારીજ તથા ચાણસ્માને પ૦-પ૦ લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. શહેરમાં રહેતા નાગરિકો જેમને ઘર બનાવવા માટે સહાય ચૂકવવાની હોય તેમના ઘર બની જતા તેમને ઓર્ડર તથા ચેક મંત્રીના હસ્તે આપવામાં આવ્યા હતા.
પાટણ નગરપાલિકા વિસ્તારમાં સ્વણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂા.૩પ.૭પ કરોડના ખર્ચે બનનાર રેલ્વે ઓવરબ્રીજનું ઇ-લોકાપ્રણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રૂા.૭પ લાખના ખર્ચે નિર્માણ પામેલ ઘનકચરા સેગ્રીગ્રેશન પ્લાન્ટ તથા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે ૧૦૦ લાખના ખર્ચે રરપ કિલોવોટ કેપેસીટીના સોલર પ્લાન્ટનું ઇ-લોકાપ્રણ કરવામાં આવ્યું હતું.
શહેરીજન સુખાકારી દિન નિમિત્તે એપીએમસીના ખેડૂત ભવન ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, પાટણ નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ, સંગઠનના જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર, પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈ, સંગઠનના બક્ષીપંચ મોરચાના મહામંત્રી મયંકભાઇ નાયક, નગરપાલિકાના ચીફ ઓફિસરઓ, પ્રમુખો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.