પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથથી સૌના વિકાસના’’

રાજ્યનો એક પણ જરૂરિયાતમંદ નાગરિક રાત્રે ભુખ્યો ન સુવે તેની દરકાર આ સરકારે કરી છેકાર્યવાહક અધ્યક્ષ આઈ.કે.જાડેજા

૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ આઈ.કે.જાડેજાની ઉપસ્થિતિમાં વિનામૂલ્યે અન્ન વિતરણ કાર્યક્રમ યોજાયો

અન્નોત્સવ દિવસ અંતર્ગત જિલ્લાની ૫૦૩ વાજબીભાવની દુકાનો પરથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અન્ન વિતરણનો શુભારંભ

રાજ્ય સરકારના સુશાસનની પાંચ વર્ષની પૂર્ણાહૂતિ નિમિત્તે પાટણ ખાતે અન્નોત્સવ દિવસ અંતર્ગત વિનામૂલ્યે અનાજ વિતરણનો કાર્યક્રમ યોજાયો. પાટણના નવા ગંજબજાર ખાતે ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ આઈ.કે.જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં એન.એફ.એસ.એ. રેશનકાર્ડ ધારકોને રાશન બેગનું વિતરણ કરવામાં આવ્યું.આ પ્રસંગે કાર્યવાહક અધ્યક્ષ આઈ.કે.જાડેજાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રાજ્યભરમાં ૧૭,૦૦૦ સ્થળોએ વિનામૂલ્યે અન્ન વિતરણનો દેશમાં આ સૌપ્રથમ કાર્યક્રમ છે. કોરોના મહામારીની શરૂઆત સાથે પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર પેકેજ જાહેર કરી જરૂરિયાતમંદ લોકોના ભોજનની ચિંતા કરી હતી. જે અંતર્ગત કરોડો જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું.

એન.એફ.એસ.એ. અંતર્ગત કરવામાં આવેલી વ્યવસ્થા અંગે વાત કરતાં કાર્યવાહક અધ્યક્ષશ્રી જાડેજાએ જણાવ્યું કે, દિવ્યાંગો, ગંગા સ્વરૂપા મહિલાઓ, નિરાધાર વૃદ્ધો જેવા કોઈ પણ જરૂરિયાતમંદ લોકો રાત્રે ભુખ્યા ન સુવે તેની દરકાર આ સરકારે કરી છે. આવા કરોડો લોકોને મળેલા અન્નના ભોજનનો ઓડકાર આશિર્વાદરૂપે મળી રહ્યો છે. ડી.બી.ટી દ્વારા વચેટીયાઓ નાબુદ થતાં લાભાર્થીને સીધો જ લાભ ઉપલબ્ધ બનતો થયો છે.

વધુમાં જાડેજાએ જણાવ્યું કે, રાજ્યના ગરીબ, પીડિત, શોષિત, વંચિત અને જરૂરિયાતમંદ લોકોના આર્થિકની સાથે સામાજીક વિકાસ માટે કટીબદ્ધ રાજ્ય સરકાર દ્વારા લોકસુખાકારીમાં વધારો કરતી અનેક યોજનાઓ અમલમાં મુકી ગુજરાતને ઔદ્યોગીકની સાથે સામાજીક વિકાસના સંદર્ભમાં પ્રથમ હરોળમાં મુક્યું છે. સામાજીક વિકાસની પ્રક્રિયામાં પ્રત્યેક ગુજરાતીના ઉત્થાન માટે કટીબદ્ધ થઈ સૌના સાથથી સૌના વિકાસની વિભાવના સાર્થક કરી છે.પ્રાસંગીક ઉદબોધન કરતાં પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈએ જણાવ્યું કે, જનકલ્યાણને વરેલી આ સરકારે તેના સુશાસનના પાંચ વર્ષ દરમ્યાન જનસામાન્યને અનુલક્ષીને અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી છે. વર્ષોથી કરવામાં આવતા અનાજ વિતરણમાં ઉઠેલી અનેક ફરિયાદો દૂર કરી જરૂરિયાતમંદ લોકોને તેના અધિકારનું અનાજ સમયસર મળી રહે તે પ્રકારની પારદર્શક વ્યવસ્થા ઉભી કરી છે.
કાર્યક્રમના પ્રારંભે મહાનુભાવોનું કઠોળની ટોપલી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. કુપોષણ દૂર કરવાના સંકલ્પ સાથે મહાનુભાવો દ્વારા આ કઠોળની ટોપલીઓ આંગણવાડીના ભુલકાઓના સુપોષણ માટે આંગણવાડી કાર્યકરોને અર્પણ કરવામાં આવી હતી.

જનસુખાકારીની નેમ જેના હૈયે વસેલી છે તેવી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની આગેવાનીવાળી રાજ્ય સરકારના પાંચ વર્ષ નિમિત્તે ઉજવણી નહીં પરંતુ જનસુખાકારીના કાર્યો નાગરિકોને સમર્પિત કરવા આયોજીત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વિનામૂલ્યે અનાજ વિતરણના આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે એન.એફ.એસ.એ. રાશનકાર્ડ ધરાવતા લાભાર્થીઓને વિનામૂલ્યે અન્ન વિતરણ કરવામાં આવ્યું. જેમાં પ્રતિ વ્યક્તિ ૩.૫૦૦ કિ.ગ્રા ઘઉં તથા ૧.૫૦૦ કિ.ગ્રા ચોખા મળી કુલ ૦૫ કિ.ગ્રા. અનાજની રાશન બેગનું વિતરણ કરવામાં આવ્યું.

પાટણ જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩ હેઠળ સમાવેશ કરવામાં આવેલા ૨,૧૧,૭૯૪ રેશનકાર્ડધારકોની ૧૦,૨૩,૪૨૮ જનસંખ્યાને ઓગષ્ટ-૨૦૨૧નું વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અન્ન વિતરણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની ૫૦૪ વાજબી ભાવની દુકાન પૈકી પ્રત્યેક દુકાન પરથી ૫૦ લાભાર્થીઓને ૩.૫૦૦ કિ.ગ્રા ઘઉં તથા ૧.૫૦૦ કિ.ગ્રા ચોખા મળી કુલ ૦૫ કિ.ગ્રા. અનાજનો જથ્થો વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.
આ પ્રસંગે દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમ થકી જોડાયેલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના વિવિધ જિલ્લાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધી પ્રતિભાવો મેળવી માર્ગદર્શન આપ્યું હતું.

સાથે જ દાહોદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રસંગને અનુરૂપ ઉદબોધન કર્યું હતું.નવા ગંજબજારના એ.પી.એમ.સી. હૉલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન પ્રમુખ દશરથજી ઠાકોર, મહામંત્રી ભાવેશભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ સહિતના પદાધિકારીશ્રીઓ તથા જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, જિલ્લા પુરવઠા અધિકારી સુશ્રી ગીતાબેન દેસાઈ સહિતના અધિકારીઓ તથા એન.એફ.એસ.એ. રાશનકાર્ડ ધરાવતા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024