વૃક્ષો એટલે કુદરતી ઓક્સિજન પ્લાન્ટ, વૃક્ષ વાવેતર અને જતનની જવાબદારી આપણા સૌની :- કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોર

ચાણસ્મા તાલુકાના વસઈપુરા ખાતે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ચાણસ્મા તાલુકાના વસઈપુરા ખાતે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. જિલ્લાને હરિયાળો બનાવવાની નેમ સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી વન વિભાગ દ્વારા જિલ્લાની ૭૧ ગ્રામ પંચાયતોમાં ૧,૧૧,૧૧૧ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું.

પ્રાસંગીક ઉદબોધન કરતાં કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગામડાઓને સક્ષમ, આર્થિક રીતે મજબૂત અને પગભર કરી ગામડાઓના ઉત્થાન માટે મનરેગા યોજના હેઠળ અનેક વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત પાટણ જિલ્લામાં આજે ૭૧ ઉપરાંત આગામી સમયમાં ૮૦ મળી કુલ ૧૫૧ ગ્રામ પંચાયતોમાં ઘનિષ્ઠ વનીકરણની કામગીરી કરવામાં આવશે. ઉપરાંત ત્રણ વર્ષ સુધી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તેની જાળવણીનું પણ કામ કરવામાં આવશે.

વધુમાં કેબિનેટ મંત્રીએ ઉમેર્યું કે, તાઉતે વાવાઝોડાના કારણે રાજ્યભરમાં દોઢ લાખ વૃક્ષો ધરાશાયી થયા, તેની ખોટ પૂરી કરવા વનીકરણ આવશ્યક બન્યું છે. સાથે જ કોરોના જેવી મહામારીમાં પ્રાણવાયુની સૌથી વધુ જરૂરિયાત ઉભી થતી હતી ત્યારે કુદરતી ઓક્સિજન પ્લાન્ટ જેવા વૃક્ષોના વાવેતર અને તેના જતનની જવાબદારી આપણી સૌની છે. ગ્રામ વિકાસ માટે અમલી મનરેગા હેઠળ કરવામાં આવનારી વનીકરણની કામગીરીથી ગ્રામ પંચાયતની સ્થાયી મિલકત ઉભી થવા ઉપરાંત ગામના લોકોને રોજગારી પણ ઉપલબ્ધ બનશે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાએ જણાવ્યું કે, ચોમાસાની શરૂઆત સાથે જ વૃક્ષ વાવેતરની કામગીરી શરૂ થઈ જાય છે. આપણે વૃક્ષોનું મહત્વ સમજી મહત્તમ વૃક્ષોનું વાવેતર અને સંવર્ધન કરવું જોઈએ.

મનરેગા યોજના વિષે વિસ્તૃત માહિતી આપી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભરત જોષીએ જણાવ્યું કે, મનરેગા એટલે તળાવ કે ખાડા ખોદવાના એવી માનસિકતા ખોટી છે. તેનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાયી મિલકતો ઉભી કરવાનો અને તેની સાથે જોડાયેલા ગ્રામજનોને રોજગારી આપવાનો છે.

જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિના આધારે દરેક ગામના સરપંચશ્રીઓ સાથે બેઠક યોજી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દ્વારા પ્રત્યેક ગામદીઠ લીમડાવન માટે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવનાર છે. જે અંગેના આયોજન, તેમાં થનાર ખર્ચ, આગામી સમયમાં તેમાંથી થતી આવક સહિતની બાબતોની રૂપરેખા પણ નિયામકએ રજૂ કરી હતી. નાયબ વન સંરક્ષક બી.એમ.પટેલે વન વિભાગની વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપી તેનો લાભ લેવા ગ્રામજનોને આહ્વાન કર્યુ હતું.
સમારોહના અંતે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોર સહિતના મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, કારોબારી અધ્યક્ષ દિપમાલાબેન પટેલ, જિલ્લા સંગઠનના પ્રમુખ દશરથજી ઠાકોર, તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા સંગઠન પ્રમુખ, જિલ્લા ખેતીવાડી અધિકારીશૈલેષભાઈ પટેલ, વસઈપુરા તથા આસપાસના ગામના સરપંચઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024