ઠાકોર સમાજના સંત શ્રી સદારામ બાપા 111 વર્ષની વયે દેવલોક પામ્યા.
બનાસકાંઠામાં ઠાકોર સમાજના સંત શિરોમણી સદારામ બાપા દેવલોક પામ્યા છે. પાટણની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી જેમને આજે મંગળવારે રજા આપીને ટોટણા આશ્રમ ખાતે લવામાં આવ્યા હતા. સંત શ્રી સદારામ બાપા 111 વર્ષની વયે દેવલોક પામ્યા છે. જેના પગલે સમગ્ર પંથકમાં ભક્તોમાં શોકની લાગણી ફેલાઇ છે.
સંત સદારામ બાપાએ ઠાકોર સમાજમાંથી વ્યસન મૂક્તિ સહિતના કુરિવાજો દૂર કરવાનું સદકાર્ય કર્યું છે. તેમના અવાજ સદ કાર્યને લઇને ગુજરાત સરકારે પણ તેમની કામગીરીને સન્માનિત કર્યા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે સદારામ બાપાને આશ્રમમાં લાવ્યા ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર અને બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી સહિત મોટી સંખ્યામાં ભક્તોએ તેમના અંતિમ દર્શન કર્યા હતા.
સદારામ બાપુ ઠાકોર સમાજમાં જન્મ્યા હતા. તેમણે ઠાકોર સમાજના ઉદ્ધાર માટે ભક્તિનો માર્ગ અપનાવીને સમાજમાં શિક્ષણ અને વ્યસનમુક્તિનો સંદેશો ગામેગામ ફેલાવ્યો હતો. તેઓ અઢારે સમાજમાં સમભાવ ધરાવે છે. તેમની હયાતીમાં જ બનાસકાંઠાના દિયોદરમાં તેમના હસ્તે તેમના ફોટો સાથેના સમૂર્તિ મંદિરનું ગયા વર્ષે નિર્માણ કરાયું હતું.
બે દિવસ પહેલાજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર જગદીશ ઠાકોર, સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર, પ્રદેશ મહામંત્રી લાખાભાઈ રબારી, પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બાબુજી ઠાકોર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર સહિતનાઓએ સદારામ બાપુના તાજેતરમાં મુલાકાત લઈને તેમના હાલચાલ પૂછ્યા હતા.