Surat
સુરત (Surat) માં ઉત્તરાયણ દરમિયાન ફ્લાયઓવર બ્રિજ ઉપરથી પસાર થતા ટુ વ્હીલર ચાલકો ગંભીર અકસ્માતનો ભોગ બને છે. જેને ટાળવા શહેર પોલીસે તા.14 અને 15 જાન્યુઆરીના રોજ તમામ ફ્લાયઓવર બ્રિજ ઉપર ટુ વ્હીલરની અવરજવર ઉપર પ્રતિબંધ મુક્યો છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિત મુજબ ઉત્તરાયણ દરમિયાન સુરતના ફ્લાયઓવર બ્રિજ ઉપરથી પસાર થતા ટુ વ્હીલર ચાલકો પતંગ અને તેના દોરાને લીધે અકસ્માતનો ભોગ બને છે. આ પરિસ્થિતિને નિવારવા માટે દર વર્ષે સુરત શહેર પોલીસ શહેરના ફ્લાયઓવર બ્રિજ ઉપર ટુ વ્હીલરની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકે છે.
આ પણ જુઓ : રાજકોટમાં BMW કારની અડફેટે બાઈક ચાલકનું મોત
શહેર પોલીસે આ વર્ષે પણ એક હંગામી જાહેરનામું બહાર પાડી 13 જાન્યુઆરીની મધરાતથી 15 જાન્યુઆરીના રાત્રીના 12 વાગ્યા સુધી શહેરના તમામ ફ્લાયઓવર બ્રિજ ઉપર ટુ વ્હીલરની અવરજવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સેફટી ગાર્ડ હશે તેને જાહેરનામામાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત નદી ઉપરના બ્રિજ ઉપર જતા ટુ વ્હીલર ચાલકોને પણ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે.