પાટણના વારાહીમાં પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી પતિએ હત્યા નિપજાવતા ચકચાર મચી છે. પોલીસે હત્યારા પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ વારાહીમાં રહેતા ઇમરાન ખાન મલેકના નૂરજહાં સાથે પાંચ વર્ષ પહેલા લગ્ન થયા હતા. નૂરજહાંબેનને એક ચાર વર્ષનો દીકરો છે. મૃતક મહિલા ઉપર તેમના પતિએ ખોટી શંકા કરી સોમવારની રાત્રે તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી.
મૃતક મહિલા અને તેમના પતિ ઈમરાન ખાન મલેક રૂમના ઓરડામાં સુતા હતા જ્યારે પરિવારના બીજા સભ્યો બહાર ઓશરીમાં સુતા હતા. ત્યારે આરોપી ઇમરાન દ્વારા રાત્રે તીક્ષ્ણ હથિયારના ઘા મારતા મહિલાએ બૂમાબૂમ કરતા તેના પરિવારના લોકો અને આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા. મહિલાને છાતીના ભાગે અને જમણા હાથ ઉપર પાંચ જેટલા ઘા મારવામાં આવ્યા હતા. મૃતક મહિલાના પિતાએ જમાઈ ઇમરાન વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.