સરસ્વતી તાલુકાના દેલીયાથરા વિસ્તારની ૫૫ વર્ષિય મહિલાનો COVID19 ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. જેના પગલે જિલ્લામાં COVID19 પોઝીટીવ કેસની સંખ્યા કુલ ૧૯ થવા પામી છે. દેલીયાથરા વિસ્તારની આ મહિલા સારવાર માટે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં ગઈ હતી, જ્યાં તેમનો COVID19 ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.
આરોગ્ય વિભાગના પેરા મેડિકલ અને નોન પેરામેડિકલ સ્ટાફની ટીમ દ્વારા ટેકો પ્લસ એપ્લિકેશન આધારીત હાઉસ ટુ હાઉસ સરવેમાં તા.૨૬ એપ્રિલના રોજ ૫૨,૫૮૩ ઘરોની મુલાકાત લઈ ૨,૦૦,૨૩૦ લોકોને આવરી લેવામાં આવ્યા છે. જે પૈકી ખાંસી, તાવ અને શ્વાસની તકલીફ ધરાવતા ૧૯૬ વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી.
જિલ્લામાં કોરોના વાયરસના નિદાન માટે અત્યાર સુધીમાં કુલ ૪૦૭ ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા છે. જે પૈકી ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે ૨૪૯, કોવીડ કેર સેન્ટર-દેથળી ખાતે ૧૧૪, કોવીડ હેલ્થ સેન્ટર-રાધનપુર ખાતે ૨૭ અને જનતા હોસ્પિટલ-પાટણ ખાતે ૧૬ વ્યક્તિઓના ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા છે. બહારથી આવેલા મુસાફરો સહિત નર્સિંગ કોલેજ-સિદ્ધપુર ખાતે ૧૩ અને ગ્રામીણ આરોગ્ય તાલીમ કેન્દ્ર-કુણઘેર ખાતે ૪૨ એમ કુલ ૫૫ જેટલા લોકોને સરકારી કોરોન્ટાઈન ફેસિલીટીમાં રાખવામાં આવ્યા છે.