પૂર્વ વિદેશ મંત્રી તેમજ બીજેપીના વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજ આપણી વચ્ચે નથી રહ્યાં. હૃદયરોગના હુમલાને કારણે મંગળવારે રાત્રે તેમનું નિધન થઈ ગયું હતું. લોકો અંતિમ દર્શન કરી શકે તે માટે સવારે તેમના પાર્થિવદેહને તેમના નિવાસ્થાને રાખવામાં આવ્યો હતો.
અહીં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઈને વડાપ્રધાન મોદી સહિતના લોકોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જે બાદમાં તેમના દેહને અંતિમ દર્શન માટે નવી દિલ્હી ખાતે આવેલા બીજેપીના કાર્યાલય ખાતે લઈ જવામાં આવ્યો હતો. બીજેપીના કાર્યાલય ખાતેથી જ સુષમાની અંતિમયાત્રા નીકળશે. લોધી રોડ પર આવેલા સ્મશાનઘાટ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
બીજેપી કાર્યાલય ખાતેથી અંતિમયાત્રા નીકળતા પહેલા દીકરી બાંસુરી સ્વરાજ અને પતિ સ્વરાજ કૌશલે ત્રિરંગામાં લપેટાયેલા સુષમા સ્વરાજને સલામી ભરી હતી અને તેમના અંતિમ વિદાય આપી હતી.
જંતર મંતર ખાતે આવેલા સુષમા સ્વરાજના ઘર ખાતે પહોંચીને વડાપ્રધાન મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન તેમની આંખોમાંથી આંસુ છલકાયા હતા. પીએમ મોદીએ સુષમાના પરિવારને મળીને સાંત્વના પાઠવી હતી.
પાકિસ્તાનની જેલમાં બંધ કુલભૂષણ જાધવનો કેસ લડનારા જાણીતા વકીલ હરીશ સાલ્વેએ સુષમાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું- મારા માટે સુષમા મોટી બહેન જેવા હતા. તેમના અકાળે અવસાનથી હું આઘાતમાં છું. કાલે રાત્રે 8.45 વાગ્યે મારી તેમની સાથે વાત થઈ હતી. તેમણે જાધવ કેસ માટે રૂ. 1ની ફી આવીને લઈ જવાનું કહ્યું હતું. તેની 10 મિનિટ પછી સુષમાને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.