Niramay Gujarat Yojana
  • પ્રજાવત્સલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આ પહેલ સર્વે સન્તુ નિરામયાના મંત્રને સાર્થક કરશેસહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા
  • પાટણની એમ.એન.હાઈસ્કુલ ખાતે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે નિરામય ગુજરાત કાર્યક્રમનો શુભારંભ
  • નિરામય ગુજરાત અંતર્ગત તબીબી નિષ્ણાંતો દ્વારા કરાશે ડાયાબીટીસ, બ્લડ પ્રેશર, કેન્સર, કિડનીના રોગો તથા એનીમિયા જેવા બિનચેપી રોગોનું સ્ક્રિનિંગ તથા સારવાર નિઃશુલ્ક
  • લાભાર્થીઓને તેમના સ્વાસ્થ્યને લગતી તમામ વિગતો આવરી લેતું નિરામય કાર્ડ ઈસ્યુ કરવામાં આવશે

પાટણ જિલ્લામાં પણ 52 સ્થળોએ દર શુક્રવારના રોજ આરોગ્ય સેવાઓ પુરૂ પાડવામાં આવશે – Niramay Gujarat Yojana

પાટણ શહેરની એમ.એન.હાઈસ્કુલ ખાતે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને નિરામય ગુજરાત કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. રાજ્યના નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે મુખ્યમંત્રીની આ પહેલ સર્વે સન્તુ નિરામયાના મંત્રને સાર્થક કરતી હોવાનું જણાવી મંત્રીએ બિનચેપી રોગોની સારવાર માટે આશિર્વાદરૂપ ગણાવી.

આ પ્રસંગે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની શાસનધુરા સંભાળી ત્યારથી તમામ ક્ષેત્રે જનકલ્યાણના કાર્યોને વેગ મળ્યો છે. દેશભરના નાગરિકોની આરોગ્ય સુખાકારીની ચિંતા કરતાં પ્રધાનમંત્રીના માર્ગદર્શનમાં પ્રજાવત્સલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા પાલનપુર ખાતેથી શરૂ કરવામાં આવેલી સર્વે સન્તુ નિરામયાના મંત્રને સાર્થક કરતી નિરામય ગુજરાતની પહેલ આશિર્વાદરૂપ સાબિત થશે.

વધુમાં સહકાર મંત્રીએ જણાવ્યું કે, અંતરિયાળ વિસ્તારોમાં વસતા છેવાડાના નાગરિક સુધી આરોગ્ય સેવાઓ પહોંચે અને બિનચેપી રોગોનું સ્ક્રીનિંગ અને સારવાર મળી રહે તે માટે રાજ્યભરમાં યોજાયેલા નિરામય ગુજરાત કાર્યક્રમ અંતર્ગત પાટણ જિલ્લામાં પણ ૫૨ સ્થળોએ દર શુક્રવારના રોજ આરોગ્ય સેવાઓ પુરૂ પાડવામાં આવશે.

લાભાર્થીઓને તેમના સ્વાસ્થ્યને લગતી તમામ વિગતો આવરી લેતું નિરામય કાર્ડ ઈસ્યુ કરવામાં આવશે. જેના આધારે નિઃશુલ્ક તપાસ, ટેસ્ટ અને દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગની ટીમ તમારા ઘરઆંગણે આવી છે ત્યારે વિના વિલંબે આ સેવાઓનો લાભ લેવા પણ મંત્રીએ અનુરોધ કર્યો હતો.

પ્રાસંગીક ઉદબોધન કરતાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલે જણાવ્યું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળી ત્યારથી આરોગ્ય જેવી પાયાની બાબત તરફ વિશેષ ધ્યાન આપ્યું છે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી આરોગ્યલક્ષી સુવિધાઓનો મહત્તમ લાભ લઈ પોતાનું જીવન નિરોગી અને સ્વસ્થ રહે તે માટે સૌએ પ્રયત્નો કરી સમાજ અને રાજ્યને તંદુરસ્ત રાખવાનું છે.

મંત્રી જગદીશ વિશ્વકર્માએ શહેરના કનસડા દરવાજા પાસે આવેલી એમ.એન.હાઈસ્કુલના સંકુલ ખાતે આરોગ્ય કેમ્પને ખુલ્લો મુકી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. સાથે જ મંત્રીએ કેમ્પમાં ઉપલબ્ધ સારવાર માટેના તમામ વિભાગની મુલાકાત અને નિરિક્ષણ દરમ્યાન જરૂરી સુચનો અને માર્ગદર્શન આપ્યું હતું. મંત્રીએ લાભાર્થીઓ સાથે પણ સંવાદ સાધી તેમણે મેળવેલી સારવાર અને વ્યવસ્થા સહિતની વિગતો મેળવી તેમને સ્વસ્થ જીવનની શુભકામનાઓ પાઠવી હતી.

એમ.એન.હાઈસ્કુલના પ્રાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને નિરામય કાર્ડ, હેલ્થ આઈ-ડી કાર્ડ તથા આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંત્રીએ મંચ પરથી ઉપસ્થિત તમામ લાભાર્થીઓને યોગ-પ્રાણાયામનો રોજીંદા જીવનમાં સમાવેશ, વ્યસનમુક્તિ તથા નિયમીતપણે સ્વાસ્થ્યની ચકાસણી દ્વારા સ્વસ્થ રહેવાના શપથ ગ્રહણ કરાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, નિરામય ગુજરાત અંતર્ગત તબીબી નિષ્ણાંતો દ્વારા ડાયાબીટીસ, બ્લડ પ્રેશર, મોઢા/સ્તન/ગર્ભાશયના કેન્સર, કિડનીના રોગો, કેલ્શિયમની ઉણપ તથા એનીમિયા જેવા બિનચેપી રોગોનું સ્ક્રિનિંગ તથા સારવાર નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. સાથે જ લેબોરેટરીની સુવિધા તથા દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવશે.

આ પ્રસંગે જિલ્લા સંગઠનના મહામંત્રી ભાવેશભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ સહિતના હોદ્દેદારો-પદાધિકારીઓ, જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી, મદદનીશ કલેક્ટર સચીનકુમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભરત જોષી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એસ.એ.આર્ય, ઈન્ચાર્જ મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડૉ. ડાભી, ધારપુર મેડિકલ કૉલેજના ડિન ડૉ.યોગેશાનંદ ગોસાઈ, ધારપુર જનરલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ.મનીષ રામાવત સહિતના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024